ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદ: પદ્માવત ફિલ્મને લઈ ઊભા થયેલા વિવાદમાં ભાજપ સરકારે પહેલા નરમ વલણ અખત્યાર કર્યું હતું, પદ્માવતના મુદ્દે રાજપૂતોની દુભાયેલી લાગણીનો ભોગ ભાજપ ના બને તે માટે રાજપૂતો દ્વારા આપવામાં આવતા વિવિધ આંદોલનને મંજુરી આપી અને આંખ આડા કાન કર્યા હતા, પરંતુ તા 23મી જાન્યુઆરીમાં કેડલ માર્ચ બાદ વિવિધ મોલ ઉપર થયેલા હુમલા અને આગ ચાંપવાના બનાવોને કારણે ફસાઈ ગયેલી ભાજપ સરકારે પોલીસને કડક હાથે કામ લેવા આદેશ આપ્યા હતા. અમદાવાદ થયેલા તોફાનો પુર્વ યોજીત હતા, તેવું સાબીત કરવા માટે પોલીસે પોતાની ફરિયાદમાં કાવત્રાની કલમ પણ સામેલ કરી હતી, પરંતુ જે પુરાવા હાથ લાગ્યા છે તેને ધ્યાનમાં લેતા પોલીસની થીયરીના કોર્ટમાં ધજીયા ઉડી જાય તેવું લાગી રહ્યું છે.
સાણંદમાં રાજપૂત વસ્તી વિશેષ હોવાની સાથે રાજેન્દ્રનિંહ અત્રે રાજભા રાજપૂત આગેવાન હોવાને કારણે સ્થાનિક પોલીસ રાજભાને બોલાવી તેની પુછપરછ કરી હતી અને તાકીદ પણ કરી હતી કે પદ્માવતના વિરોધના નામે કોઈ પણ પ્રકારની હિંસા થાય નહીં, આ ઉપરાંત રાજભા સહિત સાણંદના કેટલાંક રાજપુત આગેવાનોના ફોન સર્વેલન્સમાં મુકવામાં આવ્યા હતા. અમદાવાદના બનાવના એક દિવસ પહેલા એટલે તા 22 જાન્યુઆરીથી રાજભા તમામ રીતે અમદાવાદ ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ કરી રહી હતી.
અમદાવાદ પોલીસની હાજરીમાં સતત હિંસા આચરવામાં આવી રહી હતી, પરંતુ રાજકીય આદેશને કારણે પોલીસે કોઈ પણ પ્રકારનો બળપ્રયોગ કર્યો ન્હોતો, હવે પોતાની અને ભાજપની ગયેલી આબરૂ બચાવવા માટે પોલીસે જે ફરિયાદ નોંધી છે, તે પ્રમાણે સાણંદના જલધારા પાર્ટી પ્લોટમાં આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું, જલધારાની મિટીંગમાં આવેલા રાજપૂતોએ કેડલ માર્ચ બાદ હિંસાને અંજામ આપ્યો હોવાનો પોલીસનો દાવો છે, પોલીસનો એવો પણ દાવો છે કે આ કાવતરૂ સાણંદના રાજેન્દ્રસિંહ વાઘેલાએ ઘડયું હતું. પરંતુ અમદાવાદ શહેર પોલીસ ભુલી ગઈ કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છેલ્લાં કેટલાંય દિવસથી રાજેન્દ્રસિંહ ઉપર નજર રાખી રહી હતી.
અમદાવાદ પોલીસ જે જલધારા પાર્ટી પ્લોટનો ઉલ્લેખ કરી રહી છે, ત્યાં મિટીંગ થઈ હતી, પણ મિટીંગ અમદાવાદમાં કેડલ માર્ચ કરવાના મુદ્દા ઉપર હતી. જલધારા પ્લોટમાં મિટીંગ વખતે પણ લોકલ ઈન્ટેલીઝન્સ બ્યૂરોના અધિકારીઓ હાજર હતા અને ત્યાં મોલને નિશાન બનાવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું તેમણે પોતાના રીપોર્ટમાં જણાવ્યું નથી, આ ઉપરાંત રાજભાના ફોન સર્વેલન્સમાં હતા, તેમાં પણ હિંસા આચરવા અંગે કોઈ વાતચીત થતી નથી, આમ અમદાવાદ શહેર પોલીસ પોતાની નિષ્ફળતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના માથે ઢોળી દેવા માગે છે, જેના કારણે આ ઘટનાનું કાવતરું સાણંદમાં ઘડાયુ હોવાની કહી રહી છે, પરંતુ તેનો ફાયદો આખરે આરોપીઓને થશે અને કોર્ટમાં પોલીસ આ કાવતરું હતું તેવું સાબીત કરી શકશે નહીં.