Rajkot
ન્યૂઝચર્ચા નેટવર્ક.રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કચ્છ, જસદણ અને અમરેલી જીલ્લાના ચલાલામાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. બાદમાં મંગળવારે તેઓએ હૈદરાબાદમાં મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું. મંગળવારે મોડી રાત્રે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાત્રે શહેરના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ મોરબી જવા નિકળ્યા હતા. મોરબીમાં સવારે 10 વાગ્યે ચૂંટણીસભા સંબોધી તેઓ પ્રાચી અને પાલીતાણામાં પણ ચૂંટણી સભા સંબોધશે.
મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે અને ચૂંટણીસભાને સંબોધવાના છે. સભામાં જનમેદની એકત્રિત કરવા તેમજ તેને જકડી રાખવા માટે નવું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ મોદી સ્ટેજ પર આવે ત્યાં સુધી લોકોને બેસાડી રાખવા માટે બોલીવુડ સિંગરને બોલાવવામાં આવ્યા છે. ત્યારે પાટીદારોનો ગઢ ગણાતા મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાના ચમત્કારથી ભાજપનું પુનરાવર્તન થશે કે સતા પરિવર્તન આવશે તે તો આગામી સમય જ બતાવશે.
બીજીતરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે. આ બે દિવસમાં રાહુલ ગાંધી દ્વારા જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદ જીલ્લામાં પાંચ મોટા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાહુલ ગાંધી જુથ મીટીંગોથી દરીયાકાંઠા વિસ્તાર ધમરોળવાના છે. આમ બંને પક્ષના દિગ્ગજો દ્વારા સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરાતા ભર શિયાળે રાજકીય માહોલ ગરમાયો છે.
આ ઉપરાંત આજે સાંજે હાર્દિક પટેલની મહાક્રાંતિસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલ હાર્દિકની સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં 2 લાખથી વધુ લોકો તેની સભામાં આવનાર હોવાનો દાવો કર્યો છે. તેમજ આજે બપોરે 1.30 વાગ્યે શહેરના નાનામૌવા ચોકથી કરણી સેના દ્વારા રાજપૂતોની ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ બાબતોને લઈને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને રંગીલું રાજકોટ તેનું કેન્દ્રબિંદુ બન્યું છે.