400-400ના જૂથમાં લીલી પરિક્રમા કરવા છૂટ અપાતા ભાવિકોમાં આનંદ છવાયો: માસ્ક ફરજીયાત પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરી તકેદારી રાખવા તંત્રની અપીલ.
જૂનાગઢ:
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ગીરનારની લીલી પરિક્રમા બંધ રાખવામા આવી હતી. જોકે આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. લોકોની સંખ્યા સતત વધતી જતી હોય તંત્ર પાસે અન્ય કોઈ વિકલ્પ ન રહેતા અંતે લીલી પરિક્રમાને શરતી મંજૂરી મળી છે. 14 થી 19 તારીખ સુધી પરિક્રમા કરવા માટે મંજૂરી આપવામા આવી છે.
તંત્ર દ્વારા પહેલા ફક્ત સાધુ-સંતો માટે પ્રતિકાત્મક પરિક્રમાને જ મંજૂરી આપવામા આવી હતી. પરંતુ, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખી અંતે સામાન્ય લોકોને પણ 400-400ના જૂથમાં પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
ઘટનાક્રમ જોઈએ તો, લીલી પરિક્રમા પરંપરાગત રીતે દેવદિવાળીની રાતથી શરૂ થતી હોય છે. જેથી આજ સવારથી જ જૂનાગઢમાં ધીમે ધીમે હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેટ પર જમાવડો કરી બેસી ગયા હતા. જેના કારણે પોલીસને બંદોબસ્ત વધારવો પડ્યો હતો. શ્રદ્ધાળુઓને પ્રવેશ ન આપવામાં આવતા રોષે ભરાયા હતા. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટુકડીઓ મુકવામાં આવી હતી દરમિયાન બપોરના સમયે આ ગેટ પરથી વનવિભાગના ડીસીએફની ગાડી બહાર નિકળવા જતા તેને બહાર જતા શ્રઘ્ઘાળુઓએ રોકી અટકાવી દીઘી હતી અને અડધી કલાક સુધી ડીસીએફની ગાડીને પરિક્રમા ગેટની બહાર જવા ન દેતા ગાડી પરત લેવાની ફરજ પડી હતી. બાદમાં વનવિભાગના અધિકારી બીજા રસ્તેથી ગાડી લઇ રવાના થયા હતા.
આ તરફ શ્રદ્ધાળુઓમાં સવાલો ઉઠી રહ્યા હતા કે મંત્રીઓના કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમોને મંજૂરી મળે છે તો લીલી પરિક્રમાને મંજૂરી કેમ નહીં? પોલીસ અધિકારીઓ જેમ જેમ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમ તેમ શ્રદ્ધાળુઓમાં વધી રોષ પ્રવર્તી રહ્યો હતો. હજારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે આવી સ્થિતિમાં પણ ભાવિકોમાં કોઈ ઉશ્કેરાટ જોવા મળ્યો નહોતો, આસ્થાનો મુદ્દો હોય લોકો ગેટ પાસે જ બેસી રામ ધૂન બોલાવવા લાગ્યા હતા. આ ભીડમાં વયસ્ક મહિલાઓ, પુરુષોની સંખ્યા વધુ હતી. સવારથી બપોર સુધી ભાવિકોએ ત્યાં બેસી એક પ્રકારે તપશ્ચર્યા કરતા તેનું ફળ પણ મળ્યું હતું. અંતે તંત્ર ભાવિકોની લાગણીને ધ્યાને લઇ સામાન્ય લોકોને પણ પરિક્રમા રૂટ પર પ્રવેશ આપવા મંજૂરી આપી હતી. પરંતુ 400-400ના જૂથમાં પર્વેશની છૂટ મળી હતી. જેથી ભાવિકોમાં આનંદ છવાયો હતો.
માસ્ક ફરજીયાત પહેરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરી તકેદારી રાખવા તંત્રએ અપીલ કરી હતી. આ સિવાય હવે પરિક્રમા રૂટ પર હજારો લોકો નીકળ્યા હોય, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સુવિધા અને તે સિવાયની સવલતો પુરી પાડવા તંત્ર કામે લાગ્યું છે.