ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ બરફના ગોલાનું સેવન કરતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચારેક દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શેરડીના રસ તેમજ બરફના ગોલાનું વેચાણ કરતા વેપારીઓનું ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન અખાદ્ય બરફ અને માવાનો નાશ કરાયો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી રસ અને ગોલાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ચેકિંગ દરમિયાન ગોલાવાળા પ્લાસ્ટિકની ડિસ્પોઝિબલ એઠી ચમચીઓને ધોઇને તેનો ફરી ગ્રાહકો માટે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જ્યારે એઠી ચમચીઓ કેમ ધોઇ રહ્યા છો તેમ પુછ્યુ ત્યારે ગોલાવાળાએ તર્ક આપ્યો હતો કે એતો એમ જ પાણીની ડોલમાં મુકી છે. જેથી ગુસ્સે થયેલા અધિકારીએ કહ્યુ હતું કે ચમચીઓ ધોઇને પછી ફેંકો છો?
મનપાના આરોગ્ય વિભાગે આજે વધુ 21 શેરડીના રસનું વેચાણ કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 36 કિલો અખાદ્ય બરફના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 132 કાચના ગ્લાસ જપ્ત કરી નોટીસ પાઠવાવમાં આવી હતી. ઉપરાંત ગત રાત્રીના ફરિયાદ મળતા બે ગોલાના વેપારીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને 57 કિલો અખાદ્ય માવા તેમજ રબડી અને 15 કિલો અખાદ્ય બરફના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તથા ચમચીનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા બંને વેપારીઓને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.