ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: ચાલુવર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હતો. પણ હાલ શહેરના મોટાભાગના જળાશયોમાં એપ્રિલ સુધી ચાલે તેટલું પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સારા વરસાદ છતાં આયોજનના અભાવે તમામ જળાશયોમાં પાણી વહેલું પુરૂ થયું હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમજ જો ભર ઉનાળે પણ પાણીકાપ મુકવામાં આવશે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને હોમ ટાઉનમાં પ્રવેશવા ન દેવાની ચીમકી પણ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
શહેરના જળાશયોમાં તળિયા દેખાવાને કોંગ્રેસ શાસકપક્ષની અણઆવડત માને છે. તેમજ ભાજપ સરકાર ચૂંટણી સમયે પાણી અંગે ખોટા વાયદા કરી મત મેળવતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવ કરવામાં આવશે. તેમજ બજેટમાં લદાયેલો બમણો પાણીવેરો દૂર નહીં કરાય તો મેયર વિરૂધ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જો કે ભાજપ શાસિત મનપાના અધિકારીઓ અને સ્થાનિક ભાજપે સૌની યોજના મારફત ફરી આજીડેમ ભરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ હાલ નર્મદામાં પૂરતું પાણી નથી તો તે આજીમાં કેવી રીતે આપશે તે મોટો પ્રશ્ન છે. બીજીતરફ હાલ આજી અને ભાદરમાં એપ્રિલ માસ સુધી ચાલે તેટલું જ પાણી છે. અને મે માસમાં પાણીની કટોકટી સર્જાવાની પુરી શક્યતા છે. ત્યારે મનપાના સતાધીશો દ્વારા જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો પાણીનો પ્રશ્ન ફરી એકવાર વિકટ સ્વરૂપ ધારણ કરશે તે હકીકત છે.