રૂપાણીને ખુલ્લો પત્ર: તમે જૈન છો, તમારી અંદર બદલાની ભાવના ક્યાંથી આવી?
પ્રિય વિજયભાઈજય જીનેન્દ્ર, પહેલા તો તમને ફરી વખત મુખ્યમંત્રી થવા માટે અભિનંદન છે. પણ હવે આપણે મુળ વાત ઉપર આવી જઈએ, તમે જન્મ જૈન છો અને જૈન શાસનમાં તમને શ્રધ્ધા છે. તમે તો અહિંસાના પક્ષમાં રહ્યા છો તમારી અંદર આ બદલો લેવાની ભાવનાનો જન્મ કેવી રીતે થયો તે મને સમજાતુ નથી. ખેર તે તમારી વ્યક્તિગત બાબત છે. તમે રાજકારણના જુના ખેલાડી છો. અહિંયા કાયમી કઈ હોતુ નથી. સત્તા તો આવતી જતી રહે છે અને સત્તા માટે વાદ-વિવાદ પણ થતો રહે છે.રાજકારણમાં ભીન્ન મત હોય છે માટે જ અલગ અલગ રાજકિય પક્ષો હોય છે. દરેકને પોતાનો મત સાચો લાગે છે અને સામેની વ્યક્તિનો મત ખોટો લાગે છે. પણ જે સાથે નથી તે સામે છે તેવુ માની લેવાની જરૂર હોતી નથી, કારણ ખરેખર તેવુ હોતુ પણ નથી. આવુ જ પત્રકારત્વમાં પણ હોય છે. કેટલાક પત્રકારને તમારા કામ અને વિચાર પસંદ છે, કેટલાક પત્રકારોને તમારા કામ પસંદ પડતા નથી. પણ તેનો અર્થ એવો નથી કે જે પત્રકાર તમારા કામની સરાહના કરે છે તે તમારી સાથે છે અને જે તમારા કામની ટીકા કરે છે તે તમારી સામે છે. દરેક શાસક પાસે સારા ટીકાકાર હોવા જોઈએ. ટીકા પાછળનો ઈરાદો મલીન ના હોય એટલુ જ પુરતુ છે.હવે અમારી વાત કરીએ, મેરાન્યૂઝ દ્વારા પ્રકાશિત થતાં તમામ સમાચારો બધા જ વાંચકોને પસંદ પડતા હતા તેવુ પણ ન્હોતુ, કેટલાંક વાંચકો અમને સવાલ પણ પુછતાં હતા કે કોંગ્રેસ સરકાર આવશે તો પણ તમે આવી જ ટીકા કરશો, ત્યારે અમે તેમને જવાબ આપતા હતા કે અમારૂ કામ પ્રજાની સાથે અને સરકારની સામે રહેવાનું છે. સત્તાની ખુરશીમાં કોણ બેસે છે તે અમારે મારે ગૌણ બની જાય છે. આજે ભાજપની સરકાર હોવાને કારણે તમારા સહિત અને વાંચકોને એવો પ્રશ્ન અને ભાવ થતો હતો કે મેરાન્યૂઝ ભાજપ વિરોધી છે. ટીકા તો સરકારમાં હોય તેની જ થાય તે બહુ સ્વભાવીક છે.ચૂંટણી દરમિયાન મેરાન્યૂઝ દ્વારા અનેક સમાચારો પ્રસિધ્ધ કરાયા, ત્યારે અમારી પણ ટીકા થતી હતી. પણ અમારી ટીકા કરનારનો પણ તે અધિકાર છે તેવુ અમે સ્વીકારી લીધુ છે. પણ તમે બહુ જલદી અસહિષ્ણુ થઈ જાવ છો, તમારી નવી સરકારનું ગઠન થાય તે પહેલા તમે અમારી ઉપર પોલિસ કેસ કરી દીધો, ખેર તમારી સરકાર દ્વારા મુકવામાં આવેલા આરોપોનો અમારે અદાલતમાં જવાબ આપવાનો છે. કદાચ તમે એવુ પણ કહેશો કે ખરેખર મને પોલિસ કેસ અંગે ખબર નથી અથવા તો કલેક્ટર દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં આવી છે. પણ તમને અને મને ખબર છે ક્યારે ફરિયાદ થાય છે અને ક્યારે ફરિયાદ થતી નથી. કારણ આપણે બંન્ને આપણા વિષયમાં માહેર છીએ.વાત માત્ર એક પોલિસ કેસ પુરતી નથી, કારણ આ કઈ મારી ઉપર થયેલો પહેલો પોલિસ કેસ પણ નથી, પણ વાત અહિંયા તમારી બદલો લેવાની ભાવના અંગે છે. અમે તો અમારૂ કામ કર્યુ છે. અમે તમને અમારા સમાચારો દ્વારા કહ્યુ કે પ્રજા તમારાથી નારાજ છે. તમને સત્તા મળી તેનો અર્થ એવો પણ નથી કે પ્રજાની નારાજગી ખતમ થઈ ગઈ છે. પ્રજાના પ્રશ્નો હજી પણ તેની જગ્યાઓ ઉભા છે અને તેના કારણે સત્તા મળવા છતાં બેઠકો ઘટી છે તે તેનો પુરાવો છે. અમારૂ કામ લખવાનું છે જે અમે કરતા રહીશુ. જો અમારી ઉપર પોલિસ કેસ કરવાથી પ્રજાના પ્રશ્નો પુરા થઈ જતા હોય તો રોજ પોલિસ કેસ કરજો.અમારી ઉપર પોલિસ કેસ કરવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, બેરોજગારને નોકરી મળે, તમામને સારૂ અને સસ્તુ શિક્ષણ મળે, કોઈ ગરીબનો ચુલો ઓલવાય નહીં તેવી વ્યવસ્થા ઉભી થતી હોય તો દરેક અખબાર અને ટીવી અને વેબપોર્ટલના એક એક પત્રકાર ઉપર રોજ પોલિસ કેસ કરવા જોઈએ, પણ અમારી ઉપર પોલિસ કેસ કરવાથી પ્રજાના પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. તો પછી શા માટે મનમાં આટલી કડવાશ સાથે જીવો છો? સરકારના સૌથી ઉચ્ચ પદ ઉપર બેઠા છો ત્યારે કઈ રીતે ગુજરાતના એક એક માણસનું ભલુ થાય અને તેનું ભલુ સરકારે કર્યુ છે તેવો અહેસાસ પણ તમને થાય તે દિશામાં કેમ વિચારતા નથી?આજે તમને ખુલ્લો પત્ર લખવા પાછળનું કારણ એવુ છે કે તમે ક્યારેય પત્રકારને તમારી બાજુમાં બેસી પુછ્યુ છે કે તમારી પ્રજા કેમ છે. અને જે પત્રકાર લખે છે કે પ્રજા દુખી છે, તેને તમારી ટીકા સમજી તે પત્રકારને તમારો દુશ્મન માની લો છો.એક પોલિસ કેસ વઘે અથવા એક પોલિસ કેસ ઘટે તેના કારણે પત્રકારના જીવનમાં ખાસ ફેર પડતો નથી. તમારા એક કેસને કારણે જીંદગીને થોડો વધુ સંઘર્ષ કરવો પડશે તો તેની તૈયારી છે. સત્તા કાયમ સારી હોય છે, પણ સત્તાનો મદ જોખમી હોય છે. તમે જાણતા જ હશો જાજી કીડીઓ સાપને તાણે.ચાલો પત્ર જરા લાંબો થઈ ગયો, પણ આ બાબત તમને રૂબરૂ મળી કહી શકાય એટલો સમય આપની પાસે હોતો નથી જેના કારણે વિગતવાર લખવુ પડ્યુ. ઈશ્વર આપને બળ અને સામર્થ્ય આપે, તેવી પ્રાર્થના. જય જીનેન્દ્રલિ. પ્રશાંત દયાળ