ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા એટલે કે વિરોધ પક્ષના નેતા તરીકેના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરતાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ પર મહોર લગાવી છે. આ અંગેની જાહેરાત દિલ્હીથી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા વિધાનસભાના કોંગ્રેસના નેતા તરીકે પરેશ ધાનાણીના નામની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓએ આ પદ માટે દાવેદારી કરી હતી. પરંતુ કોંગ્રેસમાં હાલ અન્ય મોભા દારી નેતાઓની હાર અને એક માત્ર દાવેદાર તરીકે હાઈ કમાન્ડે પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
અશોક ગહેલોતે આ અંગેની જાહેરાત કરી હતી. પરેશ ધાનાણીના નામને માત્ર ગુજરાતના જ મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્યો જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ પણ માન્ય રાખ્યું હતું. જોકે કેટલાક જુથ દ્વારા અન્ય નેતાઓના નામને પણ આગળ ધરાયા હતા. પરંતુ આખરે હાઈકમાન્ડનો આખરી નિર્ણય પરેશ ધાનાણી તરફ વળ્યો હતો.
પરેશ ધાનાણી કાર્યકર હતા ત્યારથી તેમની કામગીરીને પગલે વિસ્તારમાં તેમજ પક્ષમાં લોકપ્રિયતા ધરાવે છે. સાથે જ તેઓ પાટીદાર નેતા તરીકે પણ ઉભરી આવ્યા છે. છેલ્લા ઘણા સમયમાં ચૂંટણી દરમ્યાન પણ તેમની પક્ષ તરફની પોતાની વફાદારી અને કામગીરી બંને હાઈ કમાન્ડે જોઈ છે જેને કારણે તેમનું નામ જાહેર કરાયું હોવાનું પણ કહેવાય છે.
No comments:
Post a Comment
THANK YOU.