Wednesday, 20 December 2017

હાઇકોર્ટનો ગુજરાત સરકારને આદેશ ‘8 સપ્તાહમાં કાયમી DGPની નિમણૂંક કરો’

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગુજરાતને કાયમી ડીજીપી મળવાનો રસ્તો પણ ખુલી ગયો છે. અત્યાર સુધી ઇન્ચાર્જ ડીજીપીથી કામ ચલાવતી ગુજરાત સરકારને ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે આગામી 8 સપ્તાહમાં કાયમી ડીજીપી પદ પર અધિકારીની નિમણૂક કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2016થી ગુજરાતને કાયમી ડીજીપી મળ્યા નથી. પીસી ઠાકુરની બદલી કરવામાં આવ્યા બાદ પી.પી. પાંડેયને ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પાંડેયની નિમણૂક સામે અપીલ કરવામાં આવતા પાંડેયને આ પદેથી દૂર કરાયા હતાં અને ગીથા જોહરીને ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા હતાં. ગીથા જોહરી ગત મહિને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં અને તેમના સ્થાને પ્રમોદ કુમારને પણ ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા હતાં. પ્રમોદ કુમાર પણ આગામી ફેબ્રુઆરી-માર્ચ 2018માં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાતમાં કાયમી ડીજીપીની નિમણૂક મામલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે હાઇકોર્ટે આજે ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે આગામી 8 સપ્તાહમાં કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવે. ત્યારે હવે જોવુ રહ્યું કે ગુજરાતના કાયમી ડીજીપી કોણ બને છે.  

No comments:

Post a Comment

THANK YOU.