ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: ચાલુવર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હતો. પણ હાલ શહેરના મોટાભાગના જળાશયોમાં એપ્રિલ સુધી ચાલે તેટલું પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે સારા વરસાદ છતાં આયોજનના અભાવે તમામ જળાશયોમાં પાણી વહેલું પુરૂ થયું હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમજ જો ભર ઉનાળે પણ પાણીકાપ મુકવામાં આવશે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીને હોમ ટાઉનમાં પ્રવેશવા ન દેવાની ચીમકી પણ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
શહેરના જળાશયોમાં તળિયા દેખાવાને કોંગ્રેસ શાસકપક્ષની અણઆવડત માને છે. તેમજ ભાજપ સરકાર ચૂંટણી સમયે પાણી અંગે ખોટા વાયદા કરી મત મેળવતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવ કરવામાં આવશે. તેમજ બજેટમાં લદાયેલો બમણો પાણીવેરો દૂર નહીં કરાય તો મેયર વિરૂધ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જો કે ભાજપ શાસિત મનપાના અધિકારીઓ અને સ્થાનિક ભાજપે સૌની યોજના મારફત ફરી આજીડેમ ભરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ હાલ નર્મદામાં પૂરતું પાણી નથી તો તે આજીમાં કેવી રીતે આપશે તે મોટો પ્રશ્ન છે. બીજીતરફ હાલ આજી અને ભાદરમાં એપ્રિલ માસ સુધી ચાલે તેટલું જ પાણી છે. અને મે માસમાં પાણીની કટોકટી સર્જાવાની પુરી શક્યતા છે. ત્યારે મનપાના સતાધીશો દ્વારા જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો પાણીનો પ્રશ્ન ફરી એકવાર વિકટ સ્વરૂપ ધારણ કરશે તે હકીકત છે.
ન્યૂઝ4હુમન નેટવર્ક.જયપુરઃ રાજસ્થાનમાં સર્વ બ્રાહ્મણ મહાસભા ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એક વિદેશીની પ્રેમિકા બતાવવાને લઈને ફિલ્મનો વિરોધ કરી રહી છે. કરણી સેનાના સંયોજકે કહ્યું કે જો બ્રાહ્મણનું લોહી વહેશો તો રાજપૂત ચૂપ નહીં રહે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધ બાદ રાજસ્થાનમાં કરણી સેનાએ કંગના રણૌતની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકા’નો પણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કંગના રણૌતની આ ફિલ્મનો વિરોધ સર્વ બ્રાહ્મણ મહાસભા નામના સંગઠન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, ગત બુધવારે કરણીસેનાએ આ વિરોધને સમર્થન આપવાની વાત કરી છે. કરણી સેનાના સંયોજક લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું કે, ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઈતિહાસને ખોટી રીતે રજુ કરવાને લઈને વિરોધ કરતા બ્રાહ્મણ મહાસભાને કરણી સેના પોતાનું સમર્થન આપે છે. તે બ્રાહ્મણ મહાસભાની સાથે છે.
એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં લોકેન્દ્રસિંહે કહ્યું કે, જો બ્રાહ્મણનું લોહી વહેશે તો રાજપૂત ચૂપ નહીં રહે, જ્યારે રાજપૂતનું લોહી વહ્યું ત્યારે બ્રાહ્મણ ચૂપ નહોતા રહ્યા. તેમણે દાવો કહ્યું કે ‘પદ્માવત’ની રિલિઝના વિરોધમાં 10 હજાર બ્રાહ્મણે લોહીથી પત્ર લખ્યો હતો.
અહીં, સર્વ બ્રાહ્મણ મહાસભાના એક પ્રતિનિધિમંડળને બુધવારે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ સાથે મળીને આ ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઈતિહાસને ખોટી રીતે રજુ કરાયાનું આવેદન આપ્યું હતું.
સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ સમિશ્રાએ કહ્યું કે મહાસભાએ રાજ્યપાલને ‘મણિકર્ણિકા’ના નિર્માતાએ ઈતિહાસ ખોટી રીતે રજુ કરી હોવા અંગે શપથ પત્ર આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે સર્વ બ્રાહ્મણ મહાસભા ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને એક વિદેશીની પ્રેમિકા દર્શાવવાને લઈને ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે.
અમર ઉઝાલાની રિપોર્ટ અનુસાર, આ દરમ્યાન ફિલ્મ ‘મણિકર્ણિકા’નું શૂટિંગના કામ અંગે કંગના ગુરુવારે જોધપુર પહોંચી, જોધપુર એરપોર્ટ પર ફિલ્મના વિરોધને લઈને મીડિયા સાથે વાત કતાં તેણે કહ્યું કે, દેશની એક દિકરીનું કિરદાર કરવાનું મને ગર્વ છે. ફિલ્મમાં ઝાંસીની રાણીના પ્રેમ પ્રસંગ જેવી વાતો ફેલાવાઈ રહી છે, તેવું વિચારી પણ કેવી રીતે શકાય?
ફિલ્મ ‘મણિકર્ણિકાઃ દ ક્વીન ઓફ ઝાંસી’માં કંગના રણૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં નજર પડશે. ફિલ્મના નિર્દેશક કૃષ છે અને આ ફિલ્મ આ જ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મમાં કંગના ઉપરાંત જિસ્સુ સેન ગુપ્તા, અતુલ કુલકર્ણી, સોનુ સુદ, સુરેશ ઓબેરોય અને અંકિતા લોખંડે સહિતના કલાકારો અભિનય કરતા જોવા મળશે.
ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: સામાન્ય રીતે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોઈ હરાજી થતી નથી, પણ હાલમાં રાજકોટ આવકવેરા વિભાગમાં એક કરદાતાએ ટેક્સ ન ભરતાં તેમની ચાંદી લેવામાં આવી હતી. ચાંદી છોડાવવા માટે પણ તેમણે ટેક્સ ન ભરતાં કરદાતાની મંજૂરીથી હરાજી કરવામાં આવી હતી. આજે રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગમાં થયેલી હરાજીમાં 25 જેટલા વેપારીઓ આવ્યા હતા. છેલ્લી ઘડી સુધી રાજકોટ અને અમદાવાદના વેપારી વચ્ચે ઊંચી બોલી લગાવાઈ હતી અને અમદાવાદના વેપારીએ 39,600 રૂપિયાની એક કિલો ચાંદી લેખે તમામ 280 કિલોની ચાંદી ખરીદી લીધી હતી.
રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગમાં સવારે હરાજી શરૂ થઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ઝવેરીઓએ રસ દાખવ્યો હતો. સીઆઈટી-ટુના કમિશનર અજીતકુમાર સિન્હા અને ટેક્સ રિકવરી અધિકારી ટી.એન.ટીનવાલા અને ટીમ દ્વારા આ હરાજી હાથ ધરવામાં આવી હતી. 280 કિલો 650 ગ્રામ ચાંદીની હરાજીની શરૂઆત પ્રતિકિલોના 37,700ના ભાવથી થઈ હતી. અને હરાજીમાં ભાગ લેનારાઓએ ઊંચી બોલીઓ લગાવી હતી. જેમાં અમદાવાદના વેપારી રાજેન્દ્ર રમણલાલ ચોકસીએ પ્રતિ કિલોના 39,600 બોલી લગાવીને તમામ ચાંદી 58 લાખ રૂપિયામાં ખરીદી લીધી હતી.
વીસ વર્ષ પહેલાંના એક કેસમાં રાજકોટના સ્વ.ધીરજલાલ ચકુભાઈ ભીમાણી નામના કરદાતાએ 15.27 લાખનો ટેક્સ નહીં ભરતાં તંત્રે આ ડિફોલ્ટર સામે પગલાં લઈ તેમની ચાંદીની હરાજી કરી હતી. ટેકસ ઉપરાંત 35.13 લાખનું વ્યાજ ચડી જતાં બધું મળીને 55 લાખ જેટલી રકમ વસૂલ કરવાની હતી. તેની સામે 58 લાખની આવક થતાં ઈન્કમટેક્ષ વિભાગ બાકીના 3 લાખ રૂપિયા પાર્ટીને પાછા આપશે. આ ચાંદીમાં અર્ધો ડઝન જેટલા કંદોરા, વીંછિયા, નેકલેસ, બ્રેસલેટ, પંજા, પેન્ડન્ટ, મંગળસૂત્ર, ડોડી, સેટ, રીંગ, પાયલ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્કમટેક્ષ વિભાગના ઇતિહાસમાં આ પ્રકારની હરાજી પહેલીવાર રાજકોટમાં કરવામાં આવી હતી.
ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: કાળા નાણાને નાથવા સરકાર દ્વારા ખાસ ઓપરેશન ક્લિનમની અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આઇટી વિભાગ દ્વારા દેશભરમાં ઠેર-ઠેર સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના પુરૂષાર્થ જવેલર્સ અને યાદવ ફાયનાન્સ નામની પેઢીમાં પણ ઓપરેશન ક્લિનમની હેઠળ આઈટી વિભાગનો સર્વે હાથ ધરાયો હતો.
જેમાં પેઢીની રાજકોટ તેમજ મોરબી સ્થિત ઓફિસ ખાતે તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન પુરૂષાર્થ જવેલર્સમાંથી ૧૭ લાખનું તથા યાદવ ફાયનાન્સમાંથી ૬ કરોડનું ડિસ્કલોઝર સામે આવ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. તેમજ મોટાભાગની ગેરકાયદે લેવડદેવડ નોટબંધી વખતે થઈ હોવાનું પણ આ તપાસ બાદ સામે આવ્યું છે.
ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને પકોડા પોલિટિક્સ પર વડાપ્રધાન મોદી, અમિત શાહની ટીકા કરી છે સાથે જ સરહદ પર દરરોજ શહીદ થઇ રહેલા જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
હાર્દિક પટેલે ભાજપ, મોદી અને અમિત શાહની પકોડા પોલિટિક્સની ટીકા કરતા કહ્યું છે કે મુખ્ય આર્થિક સલાહકાર પાસે બેકારીના આંકડા નથી. નાણા મંત્રી પાસે જીડીપીના આંકડા નથી. આરબીઆઇના ગવર્નર પાસે નોટબંધી બાદ જમા થયેલ નોટોનો આંકડા નથી. દેશની ન તો સરહદો સુરક્ષિત છે ન તો આપણા સૈનિક. સરહદ પર લગભગ દરરોજ આપણા સૈનિક શહીદ થઇ રહ્યાં છે અને ચોક્દારે મૌનવ્રત ધારણ કરી લીધુ છે. આપણા નેતાઓની જેમ જ સેનાધ્યક્ષ પણ માત્ર ચેતવણીરૂપી બયાન આપી પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતા નજર અવી રહ્યાં છે. આજ જનતાને શંકા થઇ રહી છે કે આ સરકાર છે કે પછી ચા અને પકોડાવાળાની લારી? ભાજપ પકોડા જેવા તથ્યહીન નકામા મુદ્દાઓની આડમાં જજ લોયાના શંકાસ્પદ મોત જેવા ગંભીર મુદ્દાઓ સાથે જોડાયેલા તથ્ય ગુમ કરી રહી છે અને જે લોકો આ હત્યાઓ સાથે જોડાયેલા છે તે સંસદમાં ઉભા થઇને પકોડા અને ચા પર સ્વાભિમાનનું નાટક કરી રહ્યાં છે. જો પકોડા વેચવા રોજગારી છે તો પછી ભાજપના નેતા પોતાના બેકાર પુત્ર માટે પકોડાની લારી કેમ શરુ નથી કરતા.
ન્યૂઝ4હુમન નેટવર્ક.સુરતઃ સુરતમાં ડુમસ રોડ પર આવેલા વીઆર મોલ સહિતના મોલમાં ગ્રાહક પાસેથી ખોટી રીતે પાર્કિંગ ચાર્જ વસૂલાતો હોવાની કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષની રજૂઆત પછી પણ બંધ ન થતાં હવે આ મામલે કોર્ટમાં જવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન-2017 મુજબ મોલ, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્સમાં ગ્રાહકો પાસેથી પાર્કિંગની ફી વસૂલી શકાય નહીં તેવો આદેશ જારી કરાયો છે. આમ છતાં મોટા ભાગના મોલમાં રૂ. 30થી 40 પાર્કિંગના નામે ઉઘરાવવામાં આવે છે. વીઆર મોલમાં રોજના સરેરાશ 1,000 જેટલાં વાહનો પાર્ક કરવામાં આવે છે. આ રકમ વર્ષે દહાડે રૂ. 1.20 કરોડ જેટલી થાય છે. છેલ્લાં ચાર વર્ષથી આ રીતે ઉગરાણું કરવામાં આવી રહ્યું છે. જેને ધ્યાને લઈએ તો આ આંકડો પાંચ કરોડને આંબી જાય તેમ છે. આ મુદ્દે સાક (એસએએસી) સંસ્થાના સંજય ઇઝાવાએ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો આ ગેરકાનૂની વસૂલાત સાત દિવસમાં બંધ કરાવવામાં નહીં આવે તો કોર્ટનું શરણું ગ્રહણ કરવામાં આવશે.
ન્યૂઝ4હુમન નેટવર્ક, મોરબી: આમ તો મોરબીને રાજાશાહીના શાસનથી જ સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મળી ચુકી છે. પ્રજા વાત્સલ્ય રાજવી પરિવારે મોરબીની પ્રજાને સુંદર બાગ બગીચાઓ અને સ્થાપત્ય જેવી સુંદર ભેટ આપવા ઉપરાંત એ વખતમાં વિમાની સેવાનો પણ લાભ આપ્યો હતો જે સુવિધા છીનવાઈ ગયા બાદ ફરીથી પ્રાપ્ત થવાની છે.
મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો બન્યા છતાં રેલ્વે તંત્ર મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. તો અગાઉ હતી તે ફ્લાઈટની સુવિધા પણ છીનવાઈ ચુકી છે. ત્રણેક વર્ષ પૂર્વે રાજપર પાસે જ્યાં રાજાશાહી વખતમાં એરોડ્રામ હતું તે સ્થળે એરપોર્ટ બનાવવા સરકારે કાગળ પર પ્લાન તૈયાર કર્યા બાદ આ પ્લાન હજુ કાગળ પર જ જોવા મળી રહ્યો છે. આમ મોરબીના ઉદ્યોગપતિઓ, નાગરિકોને હવાઈ સેવાનો લાભ આપવામાં સરકાર ભલે નિષ્ફળ રહી હોય છતાં ખાનગી સર્વિસ સેક્ટર મોરબી રાજકોટ વચ્ચે હવાઈ સેવાની જરૂરીયાતને સારી રીતે સમજતું હોય તેમ મોરબી અને રાજકોટ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવાની છે. T ૩ AIR નામની કંપની દ્વારા સપનો કી ઉડાન સ્લોગન હેઠળ આ સેવા શરુ થવાની છે.
રાજકોટના જાણીતા યોગેશ પુજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલીકોપ્ટર સેવાઓ શરુ કરી છે અને હવે રાજકોટ મોરબી વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવા જઈ રહી છે. જેની સંભવિત પ્રથમ ઉડાન આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ કરવા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રાજકોટના TGB કાલાવડ રોડ પરથી ઉડાન ભરશે જે મોરબીના સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે. જેમાં વનવે ત્રીપના રૂ. ૨૯૯૦ થી શરુ અને રાઉન્ડ ટ્રીપ સેવા રૂ. ૪૯૯૦ થી શરુ થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી આગામી દિવસોમાં મોરબીવાસીઓનું પણ હવાઈ ઉડાનનું સ્વપ્ન પૂર્ણ થશે અને લોકો હવાઈ સેવાનો લાભ લઇ શકશે.
ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટીના જૂના બિલ્ડિંગમાં આજે ભીષણ આગ ભડકી હતી જેમાં સમગ્ર ઓફિસ બળીને ખાખ થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT CITY) માં આજે બપોરે 2:30 વાગ્યા આસપાસ જૂના બિલ્ડિંગ કે જેને એડમિન વિંગ તરીકે ઓળખવામાં આવે છે તેમાં આગ ભભૂકી હતી. ગણતરીને મિનિટોમાં જ આ આગે સમગ્ર ઓફિસને પોતાના પલેટામાં લઇ લીધી હતી. આગની જાણ થતાં ગાંધીનગર અને અમદાવાદથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આગને ઓલવવામાં આવે ત્યા સુધીમાં ઓફિસમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઇ નથી.
પ્રાથમિક અહેવાલ અનુસાર આગ કેન્ટિન તરફના ભાગથી એડમિન વિંગ સુધી પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી પરંતુ શોર્ટ સર્કિટ અથવા તો કેન્ટિન તરફ કોઈ એવી ઘટના બની હોય તેના કારણે આગ લાગી હોઇ શકે . ગીફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે ત્યારે અહીં આગની ઘટનાથી સુરક્ષાને લઇને અનેક સવાલ ઉભા થયા છે. આગને પગલે પોલિસનો કાફલો પણ દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સીટીની મુખ્ય ઇમારત સુરક્ષિત છે. જેમાં મોટી કોર્પોરેટ કંપનીઓની ઓફિસો આવેલી છે.
ન્યૂઝ4હુમન નેટવર્ક, નવી દિલ્હી: દેશના મધ્યમ અને ગરીબ વર્ગને આશા હતી કે સરકાર પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પરથી ટેક્સ ઓછો કરી રાહત આપી શકે છે. સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો છે પરંતુ તેનો ફાયદો લોકોને નહીં મળે.
કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે બેઝિક એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ સિવાય એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં પણ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પરંતુ તેના સ્થાને 8 રૂપિયા પ્રતિ લિટરના રોડ સેસની શરુઆત કરી દીધી છે. આમ સરકારે લોકોને ભાવ ઘટાડાની લોલીપોપ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભારે વધારો થઇ ચુક્યો છે. વર્ષ 2014માં ભાજપની સરકાર કેન્દ્રમાં બન્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ ઝડપથી વધ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 72.92 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 64 રૂપિયા પ્રતિ લિટર છે. ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન 9 વખત એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. આજે જાહેર થયા બજેટમાં પણ મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ માટે કેસ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી આ વર્ગને પણ કોઈ ફાયદો થયો નથી. ખેડૂતો અને ગરીબો માટે કેટલીક રાહતો જાહેર કરાઇ છે.