Wednesday, 29 November 2017

સૌરાષ્ટ્રમાં મોદી, રાહુલ, હાર્દિકના કાર્યક્રમોથી ભર શિયાળે રાજકીય માહોલ ગરમાયો

Rajkot
ન્યૂઝચર્ચા નેટવર્ક.રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કચ્છ, જસદણ અને અમરેલી જીલ્લાના ચલાલામાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. બાદમાં મંગળવારે તેઓએ હૈદરાબાદમાં મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું. મંગળવારે મોડી રાત્રે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાત્રે શહેરના સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ મોરબી જવા નિકળ્યા હતા. મોરબીમાં સવારે 10 વાગ્યે ચૂંટણીસભા સંબોધી તેઓ પ્રાચી અને પાલીતાણામાં પણ ચૂંટણી સભા સંબોધશે. 

મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોરબી આવી રહ્યા છે અને ચૂંટણીસભાને સંબોધવાના છે. સભામાં જનમેદની એકત્રિત કરવા તેમજ તેને જકડી રાખવા માટે નવું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ મોદી સ્ટેજ પર આવે ત્યાં સુધી લોકોને બેસાડી રાખવા માટે બોલીવુડ સિંગરને બોલાવવામાં આવ્યા છે. ત્યારે પાટીદારોનો ગઢ ગણાતા મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાના ચમત્કારથી ભાજપનું પુનરાવર્તન થશે કે સતા પરિવર્તન આવશે તે તો આગામી સમય જ બતાવશે. 

બીજીતરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે. આ બે દિવસમાં રાહુલ ગાંધી દ્વારા જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અને બોટાદ જીલ્લામાં પાંચ મોટા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાહુલ ગાંધી જુથ મીટીંગોથી દરીયાકાંઠા વિસ્તાર ધમરોળવાના છે. આમ બંને પક્ષના દિગ્ગજો દ્વારા સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરાતા ભર શિયાળે રાજકીય માહોલ ગરમાયો છે.

આ ઉપરાંત આજે સાંજે હાર્દિક પટેલની મહાક્રાંતિસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલ હાર્દિકની સભાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં 2 લાખથી વધુ લોકો તેની સભામાં આવનાર હોવાનો દાવો કર્યો છે. તેમજ આજે બપોરે 1.30 વાગ્યે શહેરના નાનામૌવા ચોકથી કરણી સેના દ્વારા રાજપૂતોની ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ બાબતોને લઈને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને રંગીલું રાજકોટ તેનું કેન્દ્રબિંદુ બન્યું છે.

Thursday, 16 November 2017

ખોટા સમયે ખોટા નિર્ણય ભાજપ દ્વારા લેવાઈ રહ્યા છે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપુતો વચ્ચે શરૂ થયેલા સંગ્રામ ઉપર ઠંડુ પાણી રેડી તેને શાંત કરવાને બદલે સ્થિતિ બગડે તેવા પ્રયાસ ભાજપ દ્વારા થઈ રહ્યા છે.

ખોટા સમયે ખોટા નિર્ણય ભાજપ દ્વારા લેવાઈ રહ્યા છે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજપુતો વચ્ચે શરૂ થયેલા સંગ્રામ ઉપર ઠંડુ પાણી રેડી તેને શાંત કરવાને બદલે સ્થિતિ બગડે તેવા પ્રયાસ ભાજપ દ્વારા થઈ રહ્યા છે. રાજપુત આગેવાનો અને અમિત શાહ વચ્ચે બેઠક થયા બાદ રાજપુતો સમાધાન કરી લેવા તૈયાર હતા અને તેમણે સમાધાનની જાહેરાત પણ કરી દીધી હતી, પણ વાઘાણીના અહંમને કારણે સમાધાન તુટી ગયુ હતું. જેના કારણે હવે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર હાઈવે ઉપર ચક્કાજામની ઘટનાઓ થવા લાગી છે.

ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામે રાજપુત યુવકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, અને તેમણે રસ્તા ઉપર ટાયરો બાળી હાઈવે જામ કરી દીધો હતો, આ કઈ પહેલી ઘટના નથી, છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક હાઈવે ઉપર ચક્કજામ કરી દેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભાજપના નેતાઓ ગામમાં પ્રવેશ પણ મળતો નથી, જેના કારણે સ્થાનિક નેતાઓની મુંઝવણ વધી ગઈ છે, જુઓ હાઈવે જામનો એક વીડિયો.